top of page

ગાંધીજીના આદર્શો

Updated: May 5, 2021

“ગાંધી તો ગાંધી થઈ ગયો, બીજો નહીં થાશે” આજે આયુષ્યની ઉત્તરાવસ્થામાંઆ વાંચ્યા પછી મન અનાયાસે અતીતમાં સરી પડ્યું. શાળામાં પાઠ્યપુસ્તકમાં ગાંધીજી વિશેના પાઠ ભણવાના આવતા. પરીક્ષામાં પ્રશ્નપત્રોમાં ગાંધી વીશેના સવાલોના તો જે જવાબ આવડતા તે લખતા, ત્યારે અપરિપક્વતાને કારણે ગાંધીજીના જીવન અને કાર્યો વિશેની ઊંડી સમજ ન હતી. જેમ જેમ મોટા થતા ગયા અને ભારતનો ઈતિહાસ ભણતા આ વિભૂતિની એક સ્પષ્ટ છબી મનમાં અંકિત થઈ. સત્ય અહિંસાના અણમોલ શસ્ત્રો વડે જેણે દેશને આઝાદ કર્યો, તે મહાન આત્માને નતમસ્તકે પ્રણામ.

ગયે વર્ષે ગાંધીજીની દોઢસો વર્ષની ઉજવણી કરવામાં આવી, પણ મને તો યાદ આવે છે ગાંધી શતાબ્દિનું એ વર્ષ(૧૯૬૯), જ્યારે કોલેજમાં ગાંધીજીની આત્માકથા “સત્યના પ્રયોગો” અમારે ભણવામાં હતી, એટલે ગાંધી વિશે ઘણું જાણવા મળ્યું. આત્મકથામાં સત્યનું સૌંદર્ય પ્રયોગ દ્વારા પ્રગટ થયુ છે. પોતાના દોષોનું પણ વાચકોને ભાન કરાવ્યું છે, એ જ તો છે ગાંધીના સત્યની પરાકાષ્ટા છે.

યોગાનુયોગ એ જ વર્ષમાં ‘ગાંધીજીના આદર્શો’ એ વિષય પર આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પર યોજાએલ ચર્ચાસત્રમાં ભાગ લેવાની તક મળી. એ સમયે યુવાનોની પ્રતિભાને ઉજાગર કરવા રેડિયોના સક્ષમ માધ્યમે મંચ પૂરો પાડ્યો. કોલેજના આચાર્ય ડો. રતિલાલ આડતીયા સાથે બે વિધ્યાર્થી અને બે વિધ્યાર્થીનીમાં મારી પસંદગી થઈ. નાનપણમાં રેડિયો સાંભળવાનો અનહદ શોખ હતો. પહેલી જ વાર રેડિયોના સ્ટુડિયોમાં બેસી બોલવાનો રોમાંચ અનોખો હતો, જેની કલ્પના પણ ન હતી. ત્યાર પછી તો આકાશવાણીના અનેક વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો.

આ ચર્ચા દસરમિયાન ગાંધીજીના જીવન વૃતાંતનું ગહન જ્ઞાન પ્રાપ્ત થયું. આજે લાગે છે કે ગાંધીજીનું જીવન તથા કાર્યો એક ચમત્કાર જ છે. તેઓ માત્ર એક વ્યક્તિ જ નહી, બલ્કે એક શાશ્વત વિચાર છે. ગાંધીજીને જેણે જોયા નથી, પણ જાણ્યા છે આવનારી પેઢીને તેમનું જીવન દંતકથા સમું લાગશે. આ દેશની ધરતી પર જનમ લઈ ગાંધીજીએ ગીતાના સંદેશ સંભવામિ યુગે યુગે ને સાર્થક કર્યો છે. સત્ય, અહિંસા અપરિગ્રહના સિધ્ધાંતો તો આજે પણ એટલા જ મહત્વના છે, પરંતુ સવાલ એ જ થાય છે કે શું આપણે ગાંધીજીના મૂલ્યોને જીવનમાં ઉતાર્યા છે?

ગાંધીના સત્યનું મૂલ્ય આંકતાં કવિ શ્રી કરસનદાસ માણેકે લખ્યું સત્યનું કાવ્ય છો બાપુ કાવ્યનું સત્ય છો તમે. પણ એ શ્વેત સત્ય તરફડતા પારેવાની ચાંચમાંથી છટકી ગયું છે. મુરલી ઠાકુરે નાના હાયકુમા જ જણાવી દીધું છે,

રાજઘાટપે

ફૂલ એકલાં ઝૂરે

સૌરભ કયાં છે?

મારુ જીવન એ જ મારો સંદેશ કહેનાર બાપુને ફરી અહી અવતાર ધારણ કરો એમ કહેવાનું મન થાય છે, કારણ આજે અત્યંત જરૂર છે તમારી. માટે જ કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ના શબ્દોમાં જ ઈશ્વરને પ્રાર્થીએ કે “પ્રભુ બીજો મોહન દેજે, એને કોઈ મોહ ન દેજે.”


નીતિન વિ મહેતા



Comentarios


CONTACT

US

NITIN MEHTA

Mob No. 9821617327

E-mail ID - mehtanitin.43@gmail.com

MUMBAI, INDIA 

TELL

US

Thanks for submitting!

bottom of page